સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામની સીમમાં આવેલા બાલાજી એસ્ટેટ સ્થિત કૈલાશ સિન્થેટીક નામની યાર્ન બનાવતી કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર કંપની આગની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનામાં કંપનીની કિંમતી મશીનરી તેમજ યાર્નનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
મળતી માહિતી મુજબ સવારે આશરે સાત વાગ્યાના અરસામાં કંપનીમાંથી અચાનક ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા. જોતા જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપનીમાં હાજર કર્મચારીઓએ સમયસર બહાર દોડી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
આગની જાણ થતાં ફાયર વિભાગની ચારથી પાંચ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. યાર્ન ઉત્પાદન કરતી કંપનીમાં જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. ફાયર કર્મચારીઓએ પાણી તેમજ ફોમનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી હતી.
ફાયર વિભાગે અંદાજે ચાર કલાકની કામગીરી બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કંપની માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. હાલ ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
