વાંકલ :
માંગરોળ તાલુકામાં ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં તસ્કરોએ આંકડોદ અને દેગડીયા ગામમાં આવેલી બે કરિયાણાની દુકાનોને નિશાન બનાવી મોટી ચોરીને અંજામ આપતા વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર, દેગડીયા ગામમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં તસ્કરો રાત્રિના સમયે ત્રાટક્યા હતા. ચોરોએ દુકાનના એક પછી એક એમ કુલ પાંચ તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરીની ઘટનાના કોઈ પુરાવા ન મળે તે માટે તસ્કરો દુકાનમાં લગાવેલા અંદાજે ₹25,000 કિંમતના CCTV DVRને પણ ઉઠાવી ગયા હોવાનું સામે આવ્યું છે.
તસ્કરોએ દુકાનમાંથી હજારો રૂપિયાનું કરિયાણું સામાન તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ આંકડોદ ગામમાં પણ કરિયાણાની દુકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડ અને માલસામાનની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. બંને દુકાનોમાંથી મળીને અંદાજે ₹20,000 જેટલી રોકડ રકમ ઉપરાંત હજારો રૂપિયાનું કરિયાણું સામાન ચોરી થઈ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સવારે દુકાનદારો દુકાન ખોલવા પહોંચતા તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. દુકાનમાં ચોરી થયેલી જણાતા વેપારીઓ અને ગ્રામજનોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ માંગરોળ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાને લઈને સ્થાનિક વેપારીઓમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનોએ રાત્રિ પેટ્રોલિંગ વધારવાની અને તસ્કરોને ઝડપથી પકડી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
બંને ચોરીની ઘટનાઓ અંગે માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તસ્કરોને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસ તપાસ બાદ જ ચોરીની ચોક્કસ રકમ અને નુકસાનનો આંકડો સ્પષ્ટ થશે.
