NEET-UG 2026 પરીક્ષામાં થયેલા કથિત પેપર લીક મામલે મૂળનિવાસી સંઘ દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવી નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સંઘના આગેવાનોનું કહેવું છે કે આ ઘટનાએ દેશભરના કરોડો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવતા નાગરિકોમાં ભારે ચિંતા ફેલાવી છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે NEET-UG જેવી રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓએ શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. લાખો વિદ્યાર્થીઓએ વર્ષો સુધી મહેનત, આર્થિક સંઘર્ષ અને માનસિક દબાણ વચ્ચે પરીક્ષાની તૈયારી કરી હતી, ત્યારે પેપર લીક જેવી ઘટનાઓથી તેમના ભવિષ્ય અને મનોબળને મોટો ફટકો પહોંચ્યો છે.
મૂળનિવાસી સંઘે રાષ્ટ્રપતિ સમક્ષ માંગણી કરી છે કે સમગ્ર પ્રકરણની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ કરાવવામાં આવે. ઉપરાંત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
સંઘે પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે ડિજિટલ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાની, ભવિષ્યમાં પેપર લીક જેવી ઘટનાઓ અટકાવવા કડક રાષ્ટ્રીય પરીક્ષા સુરક્ષા કાયદો બનાવવાની તેમજ પુનઃ પરીક્ષાની તારીખ વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને જાહેર કરવાની માંગ પણ કરી છે.
આવેદનપત્રમાં આર્થિક અને માનસિક રીતે પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ અને સહાય વ્યવસ્થા ઉભી કરવાની તેમજ શિક્ષણ ક્ષેત્રમાં સક્રિય પેપર લીક માફિયાઓ અને ભ્રષ્ટ તત્વોની વ્યાપક તપાસ કરીને કડક સજા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
મૂળનિવાસી સંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે દેશના ગરીબ, મૂળનિવાસી અને મહેનતકશ વર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ જ પ્રગતિનો માર્ગ છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં ગેરરીતિઓ દેશના યુવાનોના સપનાઓ સાથે અન્યાય સમાન છે. તેથી કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓએ આ મામલે તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવા જોઈએ.
