। ભરૂચ ।
આજકાલની જનરેશનમાં સોશિયલ મિડીયા તેમજ ફિલ્મી દુનિયાનો ક્રેઝ વધી ગયો છે. કેટલાંક નાદાન બાળકો સ્વપ્ન સાકાર કરવાની મનશામાં અણધાર્યું પગલું ભરી દેતાં હોય છે. જે ક્યારેક તેમના જીવનને બરબાદ કરી દે છે. તો કયારેક કોઈ બાળકને સારા વ્યક્તિઓ મળે તો તેમને તેમના પરિવારજનો સાથે મેળાપ કરાવી આપે છે.
ભરૂચમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ રેલવે પોલીસને ગત ૧૭મી જૂનના રોજ ૧૩ વર્ષની એક સગીરા મળી આવી હતી. સગીરા તેના વાલીવારસ સાથે હોવાની શકયતાને લઈને પોલીસે તેમની પુછપરછ કરતાં તેણે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તે ઘરેથી ૫૦૦ રુપિયા લઈને ઘરેથી કોઈને જાણ કર્યા વિના ભાગી આવી છે. તેને હિરોઈન બનવું હોઈ તે મુંબઈ જવા ટ્રેનમાં બેઠી હતી. જોકે, તે ને ટ્રેનની સાચી માહિતી ન હોવાને કારણે તે મુંબઈના બદલે ગુજરાત તરફ આવતી ટ્રેનમાં બેસી ગઈ હતી. સગીરાની કફિયત સાંભળીને જીઆરપી સ્ટાફે તુરંત ભરૂચ પોલીસ તેમજ સગીરાના આશ્રય માટે તેમની દિકરીને સખી વન સ્ટોપને સોંપી હતી.
સખી વન સ્ટોપ સેન્ટરના અધિકારીઓ દ્વારા સગીરાનું કાઉન્સેલિંગ કરાતાં સગીરાને માધુરી દિક્ષિત બનવાની ઘેલછા હોવાનું તેણે કબુલ્યું હતું. તેને હિરોઈન બનવું હોવાને કારણે ઘર છોડયું હોવાનું જણાવ્યું હતું. ટીમે તેની પુછપછર કરી તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો. પરિવારે તેમના સ્થાનિક પોલીસ મથકે પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં શુક્રવારે સગીરાના કાકા તેને લેવા માટે ભરૂચ આવતાં સખી વન સેન્ટરની ટીમે તમામ કાયદાકિય પ્રક્રિયા પૂર્ણ કરી બાળકીને પરિવારને સોંપી હતી.
