વાંકલ : સુમુલ ડેરીની સામાન્ય ચૂંટણી-2026ને લઈને મહત્વપૂર્ણ રાજકીય ચિત્ર સામે આવ્યું છે. ડેરીની કુલ 16 બેઠકો પૈકી 5 બેઠકો પર ભાજપે મજબૂત દબદબો જમાવ્યો છે. આ પાંચેય બેઠકો પર ભાજપના અધિકૃત ઉમેદવારો સિવાય અન્ય કોઈ ઉમેદવારે નામાંકન પત્ર ભર્યું ન હોવાથી, તમામ ફોર્મ મંજૂર થતાં જ તેઓ બિનહરીફ વિજેતા જાહેર થશે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ 5 બેઠકો પર માત્ર ભાજપ પ્રેરિત ઉમેદવારોના જ સિંગલ ફોર્મ નોંધાતા પક્ષ તેમજ તેના સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલાં જ પાંચ બેઠકો પર વિજય નિશ્ચિત થતા સત્તાધારી પક્ષનું પલ્લું વધુ મજબૂત બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બિનહરીફ વિજેતા બનનારા ઉમેદવારોમાં ચોર્યાસી બેઠક પરથી સંદિપ જયંતીલાલ દેસાઇ, માંગરોળ બેઠક પરથી રાજેશકુમાર કાંતીલાલ પાઠક, પલસાણા બેઠક પરથી ભરતસિંહ ગુમાનસિંહ સોલંકી, કામરેજ બેઠક પરથી બલવંતભાઇ મોરારભાઇ પટેલ તેમજ બારડોલી બેઠક પરથી અજીતભાઇ જગુભાઇ પટેલનો સમાવેશ થાય છે. કુલ 16 બેઠકોમાંથી 5 બેઠકો પર ભાજપનો વિજય અત્યારથી જ નિશ્ચિત થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હવે બાકીની 11 બેઠકો પર ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ બિનહરીફ વિજયથી સુમુલ ડેરીના સત્તાધારી પક્ષનું પલ્લું ફરી એકવાર ભારે થતું દેખાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.
