ભરૂચ : તા. 24-06-2026, બુધવારના રોજ પ.પૂ. માન સદગુરુજીના જન્મદિવસ, પ.પૂ. શાંતા બા (માન સદગુરુજીના ધર્મપત્ની)ના નિર્વાણ દિવસ તેમજ વિશ્વશાંતિ મહાકાળી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દિવસના ત્રિવેણી સંગમના પાવન અવસરે “શાંતિ સમીર” તપોભૂમિ ખાતે ભક્તિમય કાર્યક્રમો યોજાયા હતા.
આ પવિત્ર પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ શ્રદ્ધાભેર હાજરી આપી હતી. કથા દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે સૌએ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
કાર્યક્રમમાં માન સદગુરુજી રચિત “કુમકુમ ચૂંદણા” ગરબાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો. ભજન-કીર્તન અને ગરબાથી સમગ્ર પરિસર આધ્યાત્મિક ઊર્જાથી ઓતપ્રોત બની ગયું હતું.
અંતમાં મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. માન ભક્તો દ્વારા આયોજિત આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ, આસ્થા અને સેવાભાવનો અનોખો સંગમ બની રહ્યો હતો.
