ભરૂચ :
ગાયત્રી જયંતી અને ગંગા દશહરા પર્વ નિમિતે આજરોજ 24 જૂન 2026, બુધવારના રોજ શ્રી ગાયત્રી શક્તિપીઠ, મુક્તિનગર ખાતે નવ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો.
સવારે 8:00 થી 11:00 વાગ્યા દરમિયાન ગાયત્રી પરિજન ભાઈઓ અને બહેનોએ યજ્ઞમાં શ્રદ્ધાભેર ભાગ લઈ 108 આહુતિ અર્પણ કરી હતી. વિશ્વ કલ્યાણ, સુખ-સમૃદ્ધિ અને શાંતિની પ્રાર્થના સાથે આયોજિત મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
શ્રી ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર ખાતે યોજાયેલા આ મહાયજ્ઞમાં 300થી વધુ ગાયત્રી પરિજનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રોચ્ચાર, યજ્ઞવિધિ અને પ્રાર્થનાથી સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક ઊર્જાથી ઓતપ્રોત બની ગયો હતો.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે ગાયત્રી જયંતી માત્ર ધાર્મિક પર્વ જ નહીં પરંતુ સંસ્કાર, સાધના અને માનવકલ્યાણનો સંદેશ આપતું પર્વ છે. કાર્યક્રમના અંતે સર્વે માટે વિશ્વશાંતિ અને માનવમાત્રના કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી.
