ભરૂચઃ સમાજસેવા અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપતી એક યાદગાર મુલાકાત અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન, ભરૂચના પી.એસ.આઈ. વૈશાલીબેન આહિરે અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે સંસ્થામાં નિવાસ કરતા મનો દિવ્યાંગ બાળકો સાથે આત્મીયતાપૂર્વક મુલાકાત કરી હતી.
વૈશાલીબેન આહિરે બાળકો સાથે હળીમળીને વાતચીત કરી, તેમની દૈનિક પ્રવૃત્તિઓ, શિક્ષણ, આરોગ્ય અને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવી હતી. બાળકો સાથે સમય વિતાવતા તેમણે તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે તેમણે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા મનો દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ, સંભાળ, શિક્ષણ અને પુનર્વસન માટે કરવામાં આવતી સેવાકીય કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગે આવા બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવી તેમના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.
મુલાકાત દરમિયાન તેમણે સંસ્થાની ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી. ગૌશાળાના સંચાલન, ગૌસેવા તેમજ પશુઓની સંભાળ અંગે માહિતી મેળવી હતી અને આ સેવાકીય કાર્યની સરાહના વ્યક્ત કરી હતી.
વૈશાલીબેન આહિરની આ મુલાકાત બાળકો માટે આનંદદાયક અને પ્રેરણાદાયી બની રહી હતી. બાળકોમાં પણ તેમના આગમનને લઈ ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી.
અંતે અસ્મિતા વિકાસ કેન્દ્ર પરિવાર દ્વારા વૈશાલીબેન આહિરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ તેઓ સમાજસેવાના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરે અને વધુને વધુ લોકો માટે પ્રેરણારૂપ બને તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
