ભરૂચ જિલ્લાના ઓસારા ખાતે આવેલ શ્રી વિશ્વશાંતિ મહાકાળી મંદિરનો 35મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. 24-06-2026, બુધવારના રોજ ભક્તિભાવ અને ધામધૂમ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
મહોત્સવ નિમિતે સવારે 11:15 થી બપોરે 3:15 વાગ્યા સુધી મંદિર ભાવિકો માટે દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન માતાજીની મહા આરતી કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે મંદિરનું મૂળ સ્થાનક વર્ષમાં માત્ર એક જ વાર ખુલ્લું મુકવામાં આવે છે, જેના કારણે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ મંદિર અનેક ભક્તોની શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર માનવામાં આવે છે. મંદિરના ઈતિહાસ અનુસાર 3 ઓક્ટોબર 1976ના રોજ આસો સુદ 10ના દિવસે સવારે 7:30 કલાકે મહાકાળી માતાજીનું આગમન થયું હતું. ત્યારથી અહીં આવતા ભક્તોની સાત્વિક મનોકામનાઓ પૂર્ણ થતી હોવાના અનેક પરચા પ્રચલિત છે.
જેઠ સુદ દશમના પાવન દિવસે મહાકાળી માતાજીને પાવાગઢ મહાકાળી મંદિરથી લાવી ઓસારા ખાતે પૂજ્ય માનસિંહભાઈ ઈડોદરા “માનગુરુ” દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસને દર વર્ષે સાલગીરી મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. હજારો ભક્તો દૂર દૂરથી વહેલી સવારથી દર્શન માટે અહીં પહોંચે છે.
મંદિરની અનોખી વિશેષતા એ છે કે અઠવાડિયામાં માત્ર મંગળવારના દિવસે જ દર્શન માટે ખોલવામાં આવે છે. ઉપરાંત અહીં કોઈપણ પ્રકારની દક્ષિણા કે નાણાં સ્વીકારવામાં આવતા નથી; માત્ર તપ, શ્રદ્ધા અને ભક્તિને જ મહત્ત્વ આપવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં આ મંદિરને પાવાગઢ મહાકાળી મંદિર જેટલું જ મહત્ત્વ ધરાવતું આસ્થાધામ માનવામાં આવે છે.
