ભરૂચ :
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગૂંચમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. રાજપીપળા કોર્ટ દ્વારા વન વિભાગના કર્મચારીઓ પર હુમલા મામલે 7 વર્ષની સજા ફટકારાયા બાદ હવે ભરૂચ કોર્ટએ પોલીસની છબી ખરડવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલા કેસમાં તેમને ફરી નોટિસ જારી કરી છે.
મળતી માહિતી મુજબ, નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને વનકર્મીઓ પર હિંસક હુમલો અને ધમકી આપવાના ગુનામાં 7 વર્ષની કેદની સજા સંભળાવી હતી. આ ચુકાદા બાદ તેમના રાજકીય ભવિષ્યને લઈને ચર્ચાઓ તેજ બની છે.
આ દરમિયાન ચૈતર વસાવા સામે ભરૂચ કોર્ટમાં ચાલતા અન્ય એક કેસમાં પણ કાર્યવાહી આગળ વધી છે. વર્ષ 2024 દરમિયાન જાહેર મંચ પરથી ગુજરાત પોલીસ અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદનને આધારે તેમની સામે પોલીસની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ફરિયાદીઓના જણાવ્યા અનુસાર, આ નિવેદનથી સમગ્ર પોલીસ તંત્રની છબી ખરડાઈ હતી.
આ મામલે અગાઉ 23 જૂને કોર્ટમાં હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ નોટિસની યોગ્ય બજવણી ન થતા જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. કોર્ટએ રજૂઆત ધ્યાનમાં લઈ હવે ચૈતર વસાવાને ફરી નોટિસ પાઠવી 29 જુલાઈએ ભરૂચ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.
કોર્ટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ હેઠળ આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી રહી છે. હવે 29 જુલાઈએ ચૈતર વસાવા કોર્ટ સમક્ષ હાજર રહી પોતાનો જવાબ રજૂ કરે છે કે નહીં, તેના પર રાજકીય અને સામાજિક વર્તુળોમાં સૌની નજર ટકેલી છે.
