ભરૂચ :
પાલેજ ખાતે જ્વેલર્સનો વ્યવસાય કરતા બે ભાઈઓ સામે ગીરવે મુકેલા સોનાના દાગીના પરત ન આપતા અને ભારે વ્યાજ વસૂલવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.
ફરિયાદ મુજબ, કરજણ તાલુકાના સાસરોદ ગામે રહેતા ફારૂક ઈસ્માઈલભાઈ પોઢીયા (ઉ.વ. 58) ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની ઓળખાણ છેલ્લા લગભગ 25 વર્ષથી પાલેજના સ્વ. સુરેશભાઈ સોની સાથે હતી. ગાઢ સંબંધોના કારણે તેઓ સુરેશભાઈની જ્વેલરી દુકાનેથી સોના-ચાંદીના દાગીના ખરીદતા હતા.
સુરેશભાઈના પુત્રો મેહુલ સુરેશભાઈ સોની અને જૈમીન સુરેશભાઈ સોનીએ ફારૂકભાઈને જરૂર પડે ત્યારે સોના-ચાંદીના દાગીના ગીરવે રાખી વ્યાજે રૂપિયા આપવાની ઓફર કરી હતી. વિશ્વાસના આધારે વર્ષ 2021માં દીકરાના લગ્ન અને બહેનની સારવાર માટે પૈસાની જરૂર પડતાં ફારૂકભાઈએ 22.200 ગ્રામ સોનાની ચેન અને પેન્ડલ ગીરવે મૂકી રૂ. 60 હજાર 2.5 ટકા માસિક વ્યાજે લીધા હતા. ત્યારબાદ વધુ નાણાકીય જરૂરિયાત ઊભી થતા 17 મે 2025ના રોજ 52.900 ગ્રામના 9 વીટી, એક ઇયરિંગ અને ચેન-પેન્ડલ ગીરવે મૂકી રૂ. 3.50 લાખ લીધા હતા. બાદમાં 18 સપ્ટેમ્બર 2025ના રોજ વધુ 30 ગ્રામ જેટલા દાગીના ગીરવે મૂકી રૂ. 2.20 લાખ મેળવ્યા હતા. ફરિયાદીનું કહેવું છે કે આરોપી ભાઈઓએ દાગીના સુરક્ષિત રાખ્યાની ખાતરી આપી હતી અને મુદલ તથા વ્યાજની રકમ ચૂકવ્યા બાદ દાગીના પરત આપવાનું કહ્યું હતું. 20 મે 2026ના રોજ ફારૂકભાઈ પાસે મુદલ અને વ્યાજની રકમની વ્યવસ્થા થતા તેઓ પોતાની બહેન સાથે પાલેજ સ્થિત દુકાને પહોંચ્યા હતા. ત્યાં આરોપીઓએ જણાવ્યું કે મુદલ અને વ્યાજની રકમ દાગીનાની મૂળ કિંમત કરતાં વધી ગઈ હોવાથી દાગીના ઓગાળી વ્યાજમાં ખપાવી દેવામાં આવ્યા છે. ફરિયાદી દ્વારા હિસાબ માંગતા આરોપીઓએ સ્પષ્ટ હિસાબ આપવાનો ઇનકાર કર્યો હતો. સાથે જ ચક્રવૃદ્ધિ વ્યાજના આધારે વધારાની મોટી રકમની માંગણી કરી હતી. ફરિયાદી મુજબ, જ્યારે રૂ. 3.50 લાખના ગીરવે મુકેલા દાગીનાનો હિસાબ માંગવામાં આવ્યો ત્યારે બંને ભાઈઓ ઉશ્કેરાઈ ગયા અને ગાળો આપી ધમકી આપી કે “આટલા પૈસા લાવો, પછી જ હિસાબ થશે; નહીં તો દુકાન પર પગ પણ મૂકતા નહીં.”
ફારૂકભાઈએ આરોપ મૂક્યો છે કે મેહુલ અને જૈમીન સોનીએ વિશ્વાસનો ભંગ કરી તેમના સોનાના દાગીના પચાવી પાડી દીધા છે તેમજ ખોટી વ્યાજ ગણતરીથી માનસિક હેરાનગતિ પહોંચાડી છે. આરોપીઓ તરફથી જાનમાલની ધમકી મળતી હોવાથી ભયના કારણે તેઓ અગાઉ ફરિયાદ નોંધાવી શક્યા નહોતા. હાલ પાલેજ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી રહી છે.
