ભરૂચ:
અંકલેશ્વર રૂરલ પોલીસ અને ભરૂચ એલસીબીએ સંયુક્ત કામગીરી કરીને રહસ્યમય રીતે થયેલી યુવાનની હત્યાના ગુનાનો સફળ ભેદ ઉકેલી 20 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, 20 જૂન, 2026ના રોજ દઢાલ–સાગબારા લિંક રોડ નીચે નદીમાંથી અજાણ્યા વ્યક્તિનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ફોરેન્સિક તપાસ અને માનવ ગુપ્ત માહિતીના આધારે મૃતકની ઓળખ પરેશભાઈ મણીલાલ વસાવા (ઉ.વ. 40), ભોલાવ GIDC, ભરૂચ તરીકે થઈ હતી.
તપાસ દરમિયાન પોલીસે 450થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા, વિવિધ વિસ્તારોમાં પૂછપરછ કરી તેમજ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી સુધી પહોંચી હતી.
તપાસમાં ખુલાસો થયો કે મૃતક પાસેથી મોટરસાયકલ લૂંટવાના ઇરાદે હત્યા કરવામાં આવી હતી. પોલીસે નિર્મલ રાજુ નિશાદ (ઉ.વ. 20)ને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને હાલમાં ભોલાવ GIDC વિસ્તારમાં રહેતો હતો. તેના વિરુદ્ધ અગાઉ પણ બે ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસએ જણાવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી અંકલેશ્વર રૂરલ પોલીસ અને ભરૂચ એલસીબીની સંયુક્ત ટીમે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડી હતી.
