ભરૂચ: ભરૂચ જિલ્લામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નિયમિત ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત ભરૂચ અને અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 14 ડેરીઓમાં તપાસ કરીને દૂધના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
અધિકારીઓએ ગાયના દૂધના 3 અને ભેંસના દૂધના 2 એમ કુલ 5 નમૂનાઓ એકત્રિત કરીને વધુ તપાસ માટે માન્ય લેબોરેટરીમાં મોકલ્યા છે. બંને શહેરોમાં વેચાતા દૂધની ગુણવત્તા અને શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે આ વિશેષ અભિયાન હાથ ધરાયું છે.
તપાસ દરમિયાન લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન વગર વેપાર કરતી કેટલીક પેઢીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે લેબોરેટરીનો રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ જ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો તપાસમાં દૂધમાં ભેળસેળ, ગુણવત્તામાં ખામી અથવા ખાદ્ય સુરક્ષા નિયમોનો ભંગ સામે આવશે તો સંબંધિત ડેરી સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
