ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં સિતપોણ ગામની સીમમાં આવેલી ખેતીવાડીની વીજ લાઈનના થાંભલા પરથી કુલ ૧.૯૨ લાખની મત્તાનો પ કિમીનો વાવર કોઈ તસ્કર ટોળકી ચોરી જતાં નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતાં નરેન્દ્રસિંહ ભરતસિંહ ગોહિલ છેલ્લા ત્રણ વર્ષથી ભરૂચ ડીજીવીસીએલમાં હલદરવા સબ ડિવિઝન કચેરી ખાતે નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. દરમિયાનમાં ગઈકાલે તેઓ તેમની ઓફિસે હાજર હતાં. તે વેળાં સવારના આઠેક વાગ્યે સિતપોણ ગામના સરપંચ જાબીરભાઈએ તેમને ફોન કરી જણાવ્યું હતું કે, તેઓ વહેલી સવારે તેમના ખેતરે ગયાં હતાં. તે વેળાં સિતપોણથી કહાન ગામ તરફ જવાના રોડ પર ખેતીવાડીની વીજ લાઈનના થાંભલાઓ પરથી વાઘરો કાપી નાંખ્યાં હોવાનું જણાયું હતું. જેના પગલે નાયબ ઈજનેર નરેન્દ્રસિંહ તેમની ટીમ સાથે સ્થળ પર દોડી ગયાં હતાં. તેમણે તપાસ કરતાં ૧૧ કેવી પારખેત એગ્રીકલ્ચર વીજ લાઈનના ૫૫ વીજ પોલ પરથી કુલ ૧.૯૨ લાખની મત્તાનો ૫ કિમીનો વાયર કોઈ તસ્કર ટોળકી ચોરી કરી ગઈ હતી. જેના પગલે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
