ભરૂચ: જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી સરકારી યોજનાઓનો અસરકારક અમલ થાય અને લોકોની સમસ્યાઓનો સ્થળ પર જ ઉકેલ લાવી શકાય તે હેતુથી જિલ્લા સમાહર્તા ડૉ. નવનાથ ગવ્હાણે રવિવારે ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ખાલક ગામની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિવિધ કામગીરીની પ્રત્યક્ષ સમીક્ષા કરી હતી.
કલેક્ટરશ્રીએ સૌપ્રથમ ખાલક ગ્રામ પંચાયત ખાતે સામાન્ય દફતરની તપાસ કરી હતી. ત્યારબાદ ગ્રામજનો અને આગેવાનો સાથે જનસંવાદ યોજી તેમની સમસ્યાઓ અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. રજૂ થયેલા પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
ત્યારબાદ જિલ્લા સમાહર્તાએ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શિક્ષણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી તેમના સામાન્ય જ્ઞાન અને અભ્યાસના સ્તરની ચકાસણી કરી હતી. સાથે જ શિક્ષકોને શિક્ષણની ગુણવત્તા વધુ મજબૂત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસવા જિલ્લા કલેક્ટરે પોતે પણ વિદ્યાર્થીઓ સાથે ભોજન લીધું હતું. તેમણે રસોડાની સ્વચ્છતા, ભોજનમાં વપરાતી સામગ્રી અને પૌષ્ટિકતાના ધોરણોની આકસ્મિક તપાસ કરી બાળકોને ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ ભોજન મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
આ મુલાકાત દરમિયાન ઝઘડિયા નાયબ કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટરની આકસ્મિક મુલાકાતથી સ્થાનિક વહીવટી તંત્ર વધુ સક્રિય બન્યું હતું અને ગ્રામજનોમાં પણ સંતોષની લાગણી જોવા મળી હતી.
