વાંકલ:
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વડોલી ગામમાં દીપડાના સતત આંટાફેરાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. તાજેતરમાં ગામના દરબાર ફળિયામાં દીપડાએ એક શ્વાનનો શિકાર કર્યો હતો, જેની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, વડોલી ગામના ઉપસરપંચ દેવેન્દ્રસિંહ વાંસિયાના નિવાસસ્થાનના મુખ્ય દરવાજા પાસે દીપડો ત્રાટક્યો હતો. ઘરના આંગણામાં બેઠેલા શ્વાન પર હુમલો કરી તેનું મારણ કર્યું હતું. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં દીપડાની હિલચાલ અને શ્વાનનો શિકાર કરતો સ્પષ્ટ દેખાય છે.
આ ઉપરાંત ગામના અન્ય વિસ્તારોમાંથી પણ દીપડાના પગલાંના નિશાન મળી આવ્યા છે, જેના કારણે ગામમાં તેની સક્રિય હાજરીની પુષ્ટિ થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી દરબાર ફળિયા વિસ્તારમાં દીપડાની અવરજવર વધી ગઈ છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છે અને લોકો દિવસ દરમિયાન પણ બહાર નીકળતાં ગભરાઈ રહ્યા છે.
દીપડાના વધતા આતંકને ધ્યાનમાં રાખી વડોલી ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. સરપંચ વૈશાલીબેને વાંકલ (ઝંખવાવ) રેન્જ ફોરેસ્ટ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી ગામમાં પાંજરું ગોઠવવા તેમજ દીપડાને ઝડપી સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરી છે.
ગ્રામજનોનું કહેવું છે કે સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો માનવજીવન અને પશુધન માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. તેથી વન વિભાગ વહેલી તકે વ્યૂહાત્મક સ્થળોએ પાંજરું ગોઠવી દીપડાને પકડે તેવી માંગ ઉગ્ર બની છે.
વન વિભાગ હવે આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે તેના પર ગ્રામજનોની નજર મંડાઈ છે.
