ભારે વરસાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીને કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટકી ગયો હોવાનો આક્ષેપ કરતાં અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા સહિતના ગામોના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આશરે 100 એકર જેટલી ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ જતાં કપાસ, તુવેર અને શાકભાજીના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પાણીના નિકાલના માર્ગો બંધ થઈ જતાં વરસાદી પાણી ખેતરોમાં જ ભરાઈ રહ્યું છે. પરિણામે પાક બરબાદ થતાં અનેક ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વાવેતરને થયેલા નુકસાનને કારણે ખેડૂતોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
અસરગ્રસ્ત ખેડૂતોનું કહેવું છે કે આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ખેડૂતો પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા તેમજ પાક નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી રોકી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
બીજી તરફ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેનેજર ઉમાચંદ્રે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તેમના જણાવ્યા અનુસાર પાણીના નિકાલ માટે સ્થળ પર 6 ભૂંગળા (પાઇપ) મૂકવામાં આવ્યા છે. જોકે, ખેડૂતોનો દાવો છે કે સ્થળ પર આવી કોઈ અસરકારક વ્યવસ્થા દેખાતી નથી અને પાણીનો નિકાલ હજુ પણ યોગ્ય રીતે થઈ રહ્યો નથી.
ભારે વરસાદ વચ્ચે ઉભી થયેલી આ સ્થિતિએ ખેડૂતો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તંત્ર વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. હવે અસરગ્રસ્ત ખેડૂતો તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા, પાક નુકસાનીનું સર્વેક્ષણ અને યોગ્ય વળતરની માંગ પર અડગ છે. સ્થાનિક સ્તરે પણ સમગ્ર મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.
