ભરૂચ:
બરફાની બાબા અમરનાથની પવિત્ર યાત્રાનો પ્રારંભ થતાં ભરૂચ જિલ્લામાં પણ શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાંથી અમરનાથ યાત્રા માટે અત્યાર સુધી 500થી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે.
સોમવારે રાત્રે ભરૂચના વેજલપુર બંબાખાનાથી બાબા અમરનાથની યાત્રા માટે 50 શ્રદ્ધાળુઓનો પ્રથમ સંઘ ભક્તિભાવ સાથે રવાના થયો હતો. “બમ બમ ભોલે”ના જયઘોષ વચ્ચે શ્રદ્ધાળુઓને બસ મારફતે વિદાય આપવામાં આવી હતી.
વેજલપુરના જય અંબે ગ્રૂપ દ્વારા સતત 16મા વર્ષે બાબા અમરનાથ તથા માતા વૈષ્ણોદેવી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક યાત્રામાં જોડાયા છે.
આ યાત્રાની એક વિશેષતા એ પણ રહી કે ભરૂચના 50 હિન્દુ શ્રદ્ધાળુઓને પવિત્ર અમરનાથ યાત્રા માટે લઈ જવાની જવાબદારી જમાલ ટ્રાવેલ્સના સંચાલક જાવેદભાઈએ સંભાળી છે. આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ એકતા અને સૌહાર્દનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું, જેને સ્થાનિકોએ પણ બિરદાવ્યું.
