રાષ્ટ્રીય તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશ અનુસાર 11 જુલાઈ શનિવારના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે.
ભરૂચ જિલ્લામાં ન્યાયીક પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાના હેતુથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ જજની સુચના અનુસાર જિલ્લાની તમામ અદાલતોમાં આ લોક અદાલત કાર્યરત થશે. આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રિ-લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાનલાયક કેસો હાથ ધરાશે. જેમાં મુખ્યત્વે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઐક્ટની કલમ – ૧૩૮ હેઠળના ચેક બાઉન્સના કેસો અને બેંકના લેણાં અંગેના કેસો, વાહન અકસ્માતના વળતર (ક્લેઈમ) અને મજુર વિવાદના કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદન, ભાડુઆત માલિકના વિવાદો, મનાઈ હુકમ અને સુખાધિકારના દાવાઓ અને વીજળી અને પાણીના બિલોના સમાધાનપાત્ર કેસો તેમજ કર્મચારીઓના પગાર-ભથ્થા અને નિવૃતિના લાભો અંગેની સર્વિસ મેટરોનો લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરાશે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર.કે.દેસાઈ અને ફૂલ ટાઈમ સેક્રેટરી પી.પી.મોકાશીએ જણાવ્યું હતું કે, પક્ષકારો અને વકીલો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સમાધાનથી નિકાલ લાવવા ઇચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગત માટે ભરૂચ કચેરીના ફોન નંબર ૦૨૬૪૨ ૨૨૧૪૮૯ તેમજ ટોલ ફી નંબર ૧૫૧૦૦ પર સંપર્ક કરી શકાશે.
