ભરૂચ: ભરૂચના નંદેલાવ-ચાવજ રોડ પર આજે અચાનક એક ઘટાદાર વૃક્ષ માર્ગની વચ્ચોવચ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વૃક્ષ પડવાની સાથે વીજ તાર પણ તૂટી માર્ગ પર આવી પડતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાના સમયે રોડ પરથી પસાર થતા વાહનચાલકોએ સાવચેતી રાખી પોતાનાં વાહનો રોકી દીધા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું જાણવા મળ્યું છે.
આ વિસ્તારમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શન કામને કારણે અગાઉથી જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરિણામે સ્કૂલ બસો સહિત અન્ય વાહનોને આ માર્ગ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે. આવી સ્થિતિમાં માર્ગ પર વૃક્ષ અને વીજ તાર પડતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોએ તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરી માર્ગ પરથી વૃક્ષ અને વીજ તાર હટાવી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવાની માંગ કરી છે. સાથે જ કન્સ્ટ્રક્શન સાઇટ નજીક સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની પણ માંગ ઉઠી છે.
