ભરૂચ:
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને સહાય વિતરણની કાર્યવાહી અંગે વાલીયા તાલુકા પંચાયતમાં વિવાદ સર્જાયો છે. તાલુકા પંચાયત પ્રમુખે તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિત રજૂઆત કરી સહાય વિતરણની પ્રક્રિયા અંગે ખુલાસો માંગ્યો છે.
રજૂઆતમાં જણાવાયું છે કે તા. 3 જુલાઈ, 2026ના રોજ થયેલા ભારે વરસાદને કારણે કોંઢ, સીલુડી અને વટારીયા ગામોમાં અનેક રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી તેમજ મકાનોને નુકસાન થયું હતું. ત્યારબાદ અસરગ્રસ્તોને તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી સહાય ચૂકવવામાં આવી હોવાનું જણાવાયું છે.
પ્રમુખના આક્ષેપ મુજબ સહાયના ચેક તૈયાર કરી જિલ્લા પંચાયતના પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં અસરગ્રસ્તોને સહાય આપવામાં આવી હતી, પરંતુ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અથવા અન્ય ચૂંટાયેલા સભ્યોને અગાઉથી કોઈ જાણ કરવામાં આવી નહોતી. ખાસ કરીને ઉપપ્રમુખનું ગામ કોંઢ હોવા છતાં તેમને પણ જાણ ન કરાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે તાલુકાનો વહીવટ ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓના સંકલનથી થવો જોઈએ, પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને બાકાત રાખવામાં આવ્યા હોવાનું જણાય છે.
તાલુકા પંચાયત પ્રમુખે TDO પાસેથી લેખિતમાં જવાબ માંગ્યો છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કેમ કરવામાં આવી નહોતી તેમજ ઘરવખરીની સહાય કયા સરકારી આદેશ અથવા માર્ગદર્શિકા હેઠળ ચૂકવવામાં આવી તેની નકલ પણ રજૂ કરવા માંગણી કરી છે.
