ભરૂચ :
અષાઢી બીજ નિમિત્તે ભરૂચમાં નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ભારે ભીડ વચ્ચે બે નાના બાળકો પોતાની માતાથી વિખૂટા પડી ગયા હતા. જોકે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને માસૂમ બાળકોને સુરક્ષિત રીતે તેમની માતા સાથે ફરી મિલાવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ઝાડેશ્વર સામે દુબઈ ટેકરી નજીક રોડ પર બે બાળકો રડતી હાલતમાં જોવા મળ્યા હતા. પેટ્રોલિંગમાં રહેલી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ તરત જ સ્થળે પહોંચી હતી અને બંને બાળકોને સુરક્ષિત કસ્ટડીમાં લઈ તેમની સંભાળ શરૂ કરી હતી.
પોલીસે બાળકોની ઓળખ 6 વર્ષની દિવ્યાકુમારી અને 4 વર્ષના આર્યન તરીકે કરી હતી. બાળકો નાની ઉંમરના હોવાથી તેઓ પાસેથી મર્યાદિત માહિતી મળી હતી. તેમ છતાં પોલીસે હિંમત હાર્યા વિના રથયાત્રા રૂટ અને આસપાસના વિસ્તારોમાં બાળકોના વાલીઓને શોધવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા.
પોલીસે વાયરલેસ સેટ, વોટ્સએપ ગ્રુપ, જાહેર સંબોધન પ્રણાલી (PA સિસ્ટમ) તેમજ સ્થાનિક લોકોના સહયોગથી બાળકોના પરિવાર સુધી પહોંચવાના પ્રયાસો કર્યા હતા. સતત શોધખોળ બાદ પોલીસે બંને બાળકોની માતાની ઓળખ કરી તેમનો સંપર્ક સાધવામાં સફળતા મેળવી હતી.
જરૂરી ઓળખની ખાતરી કર્યા બાદ બંને બાળકોને સુરક્ષિત રીતે તેમની માતાને સોંપવામાં આવ્યા હતા. પોતાના બાળકોને સહીસલામત પરત મળતાં માતાએ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રથયાત્રા જેવી ભારે ભીડમાં પોલીસે દાખવેલી સતર્કતા, સંવેદનશીલતા અને ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર ભરૂચ પોલીસની માનવતાભરી કામગીરી અને લોકો પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
