ભરૂચ :
ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં કરાયેલી કાર્યવાહી બાદ હવે તપાસના તાર ભરૂચ સુધી પહોંચ્યા છે. ATSની તપાસમાં ભરૂચ સ્થિત દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા બે યુવાનોના નામ સામે આવતા તેમની અટકાયત કરવામાં આવી છે. આ ઘટનાએ ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે.
ATSના જણાવ્યા મુજબ, UAPA હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરીને યુવાનોને કટ્ટરપંથી વિચારસરણી તરફ આકર્ષવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની માહિતી સામે આવી હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ, ડિજિટલ પુરાવા અને ગુપ્ત માહિતીના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી.
તપાસમાં ઝડપાયેલા પાંચ નવા આરોપીઓમાં મોહમ્મદ ઐયુબભાઈ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખળી (20) અને મોહમ્મદ હસન હનીફભાઈ કરડીયા ઉર્ફે હસન હૈદરપુરી (20) હાલ ભરૂચની દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસામાં અભ્યાસ કરતા હોવાનું ATSએ જાહેર કર્યું છે. જોકે, અત્યાર સુધી ઉપલબ્ધ સત્તાવાર માહિતીમાં મદ્રેસાના સંચાલકો અથવા સંસ્થાની કોઈ સંડોવણી અંગે ATS દ્વારા કોઈ દાવો કરવામાં આવ્યો નથી.
તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી જૈશ-એ-મોહમ્મદના ઝંડા, મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય, જેહાદી પુસ્તકો, પ્રિન્ટેડ દસ્તાવેજો તેમજ IED બનાવવા ઉપયોગી સામગ્રી મળી આવી હોવાનું ATSએ જણાવ્યું છે. તપાસ એજન્સીના દાવા મુજબ, વિસ્ફોટક બનાવવાની પદ્ધતિઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને અન્ય લોકોને પણ કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસનો વ્યાપ હવે માત્ર ધરપકડ સુધી મર્યાદિત નથી. આરોપીઓ કોના સંપર્કમાં હતા, તેઓ કોની સાથે સતત સંવાદમાં હતા, ડિજિટલ પ્લેટફોર્મનો કેવી રીતે ઉપયોગ થતો હતો અને કોઈ મોટું નેટવર્ક કાર્યરત હતું કે નહીં, તે તમામ મુદ્દાઓ પર ATS ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
ભરૂચમાં પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. સંવેદનશીલ સ્થળો, ધાર્મિક સંસ્થાઓ અને આરોપીઓ સાથે સંકળાયેલા સંપર્કોની માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જાણવા મળે છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.
આ સમગ્ર કેસમાં એક મહત્વનો મુદ્દો એ છે કે તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ATS દ્વારા એકત્ર કરવામાં આવેલા ડિજિટલ અને ફોરેન્સિક પુરાવાના આધારે તપાસ આગળ વધી રહી છે.
