વાંકલ:
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના વિવિધ ગામોના 11 આદિવાસીઓએ ક્રિશ્ચિયન ધર્મનો ત્યાગ કરીને ફરી સનાતન ધર્મ અપનાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ખાતે આવેલા જલેબી હનુમાન મંદિરમાં શનિવારે વૈદિક વિધિ-વિધાન સાથે તેમની ‘ઘરવાપસી’ કરાવવામાં આવી હતી.
માહિતી અનુસાર, ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બિલબારી સહિતના ગામોના આદિવાસી પરિવારો અગાઉ ક્રિશ્ચિયન ધર્મ સાથે જોડાયા હતા. હવે તેમણે સ્વેચ્છાએ ફરી સનાતન ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો હોવાનું કાર્યક્રમના આયોજકોનું કહેવું છે.
ધર્મ વાપસી દરમિયાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ લોકોને સનાતન ધર્મનો ખેસ ઓઢાડવામાં આવ્યો તેમજ હનુમાનજીનું લોકેટ પહેરાવી સનાતન ધર્મમાં આવકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકો, મહિલાઓ અને યુવાનો સહિત કુલ 11 લોકોએ ભાગ લીધો હતો.
ધર્મ વાપસી કરનાર ગંગારામભાઈએ જણાવ્યું કે, પરિવારના એક સભ્યની ગંભીર બીમારી દરમિયાન તેમને સારવાર અને અન્ય મદદના આશ્વાસન સાથે ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. જોકે, છેલ્લા બે વર્ષમાં સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં તેમણે ફરી સનાતન ધર્મ અપનાવવાનો નિર્ણય લીધો હોવાનું તેમણે જણાવ્યું.
આ સમગ્ર પ્રક્રિયામાં હિન્દુ આગેવાન અરવિંદભાઈ સહિત સ્થાનિક આગેવાનોની હાજરીમાં જલેબી હનુમાન મંદિરમાં વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આયોજકોના જણાવ્યા મુજબ, આ અગાઉ પણ આ વિસ્તારમાં 44 આદિવાસીઓની ‘ઘરવાપસી’ કરાવવામાં આવી હતી.
બીજી તરફ, હિન્દુ સંગઠનોએ આદિવાસી વિસ્તારોમાં લાલચ કે અન્ય પ્રલોભન દ્વારા ધર્માંતરણ થતું હોવાનો આક્ષેપ કરી આવી પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
