ભરૂચ:
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટાચૂંટણીને અનુલક્ષીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-163 હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.બી. ભોગાયતાએ જાહેરનામું બહાર પાડી મતદાન કેન્દ્રોની અંદર તેમજ તેની 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક સંચાર સાધનો લઈ જવા તથા તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ બિલોઠી બેઠક માટે 28 જુલાઈ, 2026ના રોજ મતદાન અને 30 જુલાઈ, 2026ના રોજ મતગણતરી યોજાશે. મુક્ત, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
જાહેરનામા મુજબ મતદાન કેન્દ્રોની અંદર તથા તેની 100 મીટરની ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ અથવા વોકી-ટોકી સાથે પ્રવેશી શકશે નહીં અને તેનો ઉપયોગ પણ કરી શકશે નહીં.
જો કોઈ વ્યક્તિ પ્રતિબંધિત સાધનો સાથે ઝડપાશે તો સ્થળ પર હાજર સુરક્ષા અધિકારીઓ તે સાધનો જપ્ત કરી શકશે. જોકે, કાયદો અને વ્યવસ્થાની ફરજ બજાવતા અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત નિરીક્ષકો તેમજ ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાના ભંગ અંગે ફરિયાદ નોંધાવવાની સત્તા પોલીસ હેડ કોન્સ્ટેબલથી નીચી કક્ષાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને સોંપવામાં આવી છે.
આ આદેશનો અમલ 28 જુલાઈના મતદાન દિવસે સમગ્ર સંબંધિત વિસ્તારમાં રહેશે અને જો પુનઃમતદાન યોજાશે તો તે મતદાન મથકો માટે 29 જુલાઈ, 2026 સુધી અમલમાં રહેશે.
