ભરૂચ.
ભરૂચ નેશનલ હાઈવે નંબર ૪૮ પર અતિથી હોટલ પાસે ઉભેલાં ટ્રેલરમાં બીજુ ટ્રેલર ભટકાતાં ડ્રાઈવરનું મોત નીપજયું હતું. ઘટનાને લઈને પોલીસ ફરિયાદ બાદ ભરૂચ મોટર અકસ્માત ટ્રિબ્યુનલમાં કેસ ચાલી ગયો હતો. જેમાં ટ્રિબ્યુનલે બન્ને પક્ષના અરજદારોને સાંભળી મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો. જેમાં રોડની પહેલી લેનમાં બેદરકારી પૂર્વક અને કોઈ પણ પ્રકારના રિલેક્ટર કે આડસ રાખ્યા વિના ટ્રેલર ઉભુ રાખતાં અકસ્માત સર્જાયો હોવાનું ફલિત થતાં અરજદારને ૨૬.૮૯ લાખ રૂપિયા દાવો દાખલ થયાની તારીખથી વસૂલાત સુધી ૯ ટકા વ્યાજ સાથે વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે.
ટ્રિબ્યુનલે નોંધ્યું હતુ કે, અકસ્માત વહેલી સવારે અંદાજે ૨:૫૫ વાગ્યે ભરૂચ-વડોદરા હાઈવે પર અતિથી હોટલ પાસે બન્યો હતો. જેમાં મૃતક કારા ચલાવાતું ટ્રેલર હાઈવેમાં પ્રથમ લેનમાં ઉભા રાખવામાં આવેલાં બીજા ટ્રેલરમાં ભટકાયું હતુ. જોકે, પોલીસે મૃતક ડ્રાઈવર વિરુદ્ધ એબેટેડ સમીર રજૂ કરી તેની બેદરકારી દર્શાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બન્ને પક્ષના દલીલો રજૂ કરવામાં આવતાં તેમાં જણાવાયું હતું કે, મોટર વાહન અધિનિયમની કલમ ૧૨૨ હેઠળ ફરજિયાત સુરક્ષા જોગવાઈઓ મુજબ જાહેર માર્ગ પર કોઈપણ વાહનને જોખમી સ્થિતીમાં મુકી રાખવાની મનાઈ છે. ઉપરાંત પાર્ક કરાયેલાં વાહન પર પાછળની બાજુ ફરજિયાત લાલ રિફ્લેક્ટર તેમજ અન્ય ચેતવણીના સાધનો લગાવવી ફરજ હોય છે. છતાં પાર્ક કરેલા ટ્રેલરના ચાલકે કોઈ રિફ્લેક્ટર નરાખી તેમજ પાર્કિંગ લાઈટ ન રાખી, રેડિયમ માર્કિંગ અથવા અન્ય કોઈ ચેતવણી સૂચક સાધનોનો ઉપયોગ નહીં કરતાં અકસ્માત સર્જાયો છે. જેથી ઉભેલાં ટ્રેલરના ડ્રાઈવર તેમજ માલિકને બેદરકાર ઠેરવી સમગ જવાબદારી તે વાહનની વીમા કંપની પર મુકી અને મૃતક દવારા ચલાવવામાં આવેલાં વાહનની વિમા કંપનીને સંપૂર્ણપણે જવાબદારીમાંથી મુકત કરી હતી.
