ડેડીયાપાડા:
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલો રાજ્યભરમાં પ્રસિદ્ધ નિનાઈ ધોધ ચોમાસાની ઋતુ દરમિયાન હજારો પ્રવાસીઓને આકર્ષે છે. પરંતુ પર્યટનના વિકાસના દાવાઓ વચ્ચે નિનાઈ ધોધ તરફ જતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર આવેલા અનેક ગરનાળાઓ તૂટી જતાં વાહનચાલકોને જીવના જોખમે મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.
વરસાદી પાણીના કારણે રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે, જ્યારે અનેક સ્થળોએ ગરનાળાઓ નુકસાનગ્રસ્ત બન્યા હોવાથી નાના વાહનો માટે માર્ગ વધુ જોખમી બની ગયો છે. દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચતા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા માર્ગના સમારકામ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
એક તરફ સરકાર નર્મદા જિલ્લાને પ્રવાસન હબ તરીકે વિકસાવવાના દાવા કરે છે, તો બીજી તરફ જિલ્લાના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ સુધી પહોંચવાનો માર્ગ જ અવ્યવસ્થિત અને જોખમી બન્યો છે. વિકાસના દાવા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો વિરોધાભાસ અહીં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ તાત્કાલિક રસ્તાનું સમારકામ, તૂટેલા ગરનાળાઓનું પુનઃનિર્માણ અને સુરક્ષિત વાહનવ્યવહાર માટે જરૂરી કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં ભરાય તો પ્રવાસનને મોટો ફટકો પડી શકે છે અને કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.
