ભરૂચ:
હાંસોટના 22 વર્ષીય યુવકનું માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ સારવાર દરમિયાન બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યું હતું. દુઃખની આ ઘડીમાં પરિવારજનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં અંગદાન માટે સંમતિ આપી હતી, જેના કારણે અનેક દર્દીઓને નવજીવન મળવાનો માર્ગ મોકળો બન્યો છે.
જયાબેન મોદી હોસ્પિટલના તબીબો અને સ્ટાફે પરિવારજનોને અંગદાનના મહત્ત્વ વિશે સમજાવતાં પરિવારજનોએ ઉમદા નિર્ણય લીધો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં અંગદાનની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
દાનમાં પ્રાપ્ત થયેલું હૃદય વિશેષ વ્યવસ્થા હેઠળ વંદે ભારત ટ્રેન મારફતે અમદાવાદ મોકલવામાં આવ્યું હતું. જ્યારે લિવર, પેન્ક્રિયાસ, કિડની અને કોર્નિયાનું પણ જરૂરિયાતમંદ દર્દીઓ માટે ટ્રાન્સપ્લાન્ટ માટે સંકલન કરવામાં આવ્યું છે, જે આગામી કલાકોમાં સંબંધિત કેન્દ્રો સુધી પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર અંગદાન પ્રક્રિયામાં પદ્મશ્રી નિલેશ માંડલેવાલા અને તેમની ટીમે ગઈકાલથી સતત હાજર રહી જરૂરી સંકલન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પરિવારના આ માનવતાભર્યા નિર્ણયને તબીબો અને સમાજના વિવિધ વર્ગોએ બિરદાવ્યો છે. એક તરફ પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યો છે, તો બીજી તરફ તેમના અંગદાનના નિર્ણયથી અનેક દર્દીઓને નવું જીવન મળવાની આશા જાગી છે.
અંગદાન કરનાર યુવકને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં સૌએ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને પરિવારના આ પરોપકારી નિર્ણયને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યો હતો.
