વાંકલ :
અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સુપોષણ પ્રોજેક્ટ અંતર્ગત ઉમરપાડા તાલુકામાં તા. 1થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની સફળ ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજી માતા અને બાળકના આરોગ્ય માટે સ્તનપાનના મહત્વ અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ પ્રસંગે સુપોષણ સંગીનીઓએ તાલુકાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં પરિવાર પરામર્શ, સમૂહ ચર્ચા, પૌષ્ટિક વાનગીઓના જીવંત પ્રદર્શન તેમજ માર્ગદર્શન કાર્યક્રમો યોજ્યા હતા. બહેનોમાં જાગૃતિ વધે તે હેતુથી સ્તનપાન વિષયક ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા મહિલાઓને પ્રોત્સાહક ભેટો અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત, આંગણવાડી કેન્દ્રો ખાતે સહાયક ડેસ્ક શરૂ કરી સગર્ભા અને ધાત્રી માતાઓના પ્રશ્નોનું નિરાકરણ કરી યોગ્ય સલાહ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ જન્મના પ્રથમ કલાકમાં નવજાતને માતાનું દૂધ પીવડાવવાના મહત્વ, બાળકને પ્રથમ છ મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવાના ફાયદા તેમજ બે વર્ષ કે તેથી વધુ સમય સુધી સ્તનપાન ચાલુ રાખવાથી માતા અને બાળકને થતા આરોગ્યલાભ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ ધાત્રી માતાના સંતુલિત આહાર, પૂરતા આરામ અને પરિવારના માનસિક સહયોગના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
અદાણી ફાઉન્ડેશનનો સુપોષણ પ્રોજેક્ટ ઉમરપાડા તાલુકામાં કુપોષણમુક્ત સમાજના નિર્માણ અને માતા-બાળકના આરોગ્યમાં સુધારો લાવવા સતત કાર્યરત છે. આ સમગ્ર અભિયાનમાં ICDS વિભાગ, આંગણવાડી કાર્યકર્તાઓ, આશા બહેનો, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
