ભરૂચ :
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના અવસરે આગામી 9 ઓગસ્ટ, 2026ના રોજ ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને ગૌરવને સમર્પિત જિલ્લાની સૌથી મોટી ભવ્ય આદિવાસી એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં ભરૂચ શહેર, દયાદરા ગામ સહિત સમગ્ર જિલ્લાના આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આયોજકોના જણાવ્યા અનુસાર રેલીમાં બજરંગ બેન્ડના ગાજતા નાદ, પરંપરાગત આદિવાસી વેશભૂષા, સાંસ્કૃતિક ઝાંખીઓ અને પરંપરાગત નૃત્ય-સંગીતનું વિશેષ આકર્ષણ રહેશે. રેલીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની એકતા, સાંસ્કૃતિક વારસો, પરંપરા અને ગૌરવને વધુ મજબૂત બનાવવાનો તેમજ નવી પેઢી સુધી તેની ઓળખ પહોંચાડવાનો છે.
આ ભવ્ય રેલી દયાદરા ગામથી પ્રારંભ થઈ ભરૂચ બાયપાસ માર્ગ મારફતે ભરૂચ રેલવે સ્ટેશન સુધી પહોંચશે. આયોજનને સફળ બનાવવા માટે દયાદરા ગામ, ભરૂચ શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
આયોજકોએ દયાદરા ગામ, ભરૂચ શહેર તથા સમગ્ર જિલ્લાના આદિવાસી ભાઈઓ-બહેનોને પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક રેલીને સફળ બનાવવા હાર્દિક અપીલ કરી છે. દયાદરા વિસ્તાર માટે વિકુંભાઈ, વિનોદભાઈ અને અજયભાઈ, જ્યારે ભરૂચ શહેર વિસ્તાર માટે દાદુભાઈ વસાવા અને સુરેશભાઈ વસાવાનો સંપર્ક કરવા જણાવાયું છે.
**”આપણી ઓળખ… આપણી સંસ્કૃતિ… આપણું ગૌરવ”**ના સૂત્ર સાથે યોજાનારી આ રેલી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને ભવ્ય અને ગૌરવપૂર્ણ બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
