ભરૂચ :
આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ વિરુદ્ધ નોંધાયેલી FIR અને ત્યારબાદ થયેલી ધરપકડના મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ કરી છે. GPCCના મહામંત્રી સંદીપ માંગરોળાએ આ અંગે નિવેદન જાહેર કરી સમગ્ર મામલે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.
સંદીપ માંગરોળાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર પટેલ વર્ષોથી જાહેર હિતના પ્રશ્નો ઉઠાવી પ્રજાની સમસ્યાઓ વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરતા રહ્યા છે. આવા જાહેર જીવન સાથે સંકળાયેલા વ્યક્તિ વિરુદ્ધ એકતરફી રીતે FIR નોંધાવી અને યોગ્ય તપાસ કર્યા વિના રાત્રે ધરપકડ કરવામાં આવી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.
કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે કેટલાક મહત્વના સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે. ઘટનાસ્થળના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી કે નહીં, સ્વતંત્ર સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા કે નહીં તેમજ સમગ્ર ઘટનામાં બંને પક્ષની રજૂઆત સાંભળવામાં આવી કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસનું કહેવું છે કે ધરપકડ જેવી કાર્યવાહી કરતા અગાઉ કાયદાકીય પ્રક્રિયા અને સંબંધિત માર્ગદર્શિકાનું પાલન થવું જરૂરી છે. આ કેસમાં પણ ધરપકડની જરૂરિયાત અને પ્રક્રિયા અંગે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
GPCCએ માંગ કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે તથા CCTV સહિતના તમામ ઉપલબ્ધ પુરાવાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવે. જો તપાસમાં ફરિયાદમાં ગુનો બનતો ન હોવાનું બહાર આવે તો કાયદેસરની પ્રક્રિયા મુજબ C Summary Report દાખલ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સાથે જ સત્તાના દુરુપયોગ અંગે કોઈ હકીકત સામે આવે તો જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.
સંદીપ માંગરોળાએ જણાવ્યું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ન્યાય માટેની લડત ચાલુ રાખશે અને લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે અવાજ ઉઠાવતી રહેશે.
