વાગરા:
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નવા કલાદરા ગામ નજીકથી પસાર થઈ રહેલા ભરૂચ-દહેજ ફોરલેન રોડ પર અંડરપાસ બનાવવાની માંગને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ નહીં આવતા ગ્રામજનોએ રસ્તા પર ઉતરી આંદોલન કર્યું હતું.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, ફોરલેન રોડ બન્યા બાદ ગામના લોકો માટે રોડની બીજી તરફ અવરજવરનો સીધો અને સુરક્ષિત માર્ગ જરૂરી છે. અંડરપાસની સુવિધા નહીં મળે તો ગ્રામજનોને આશરે અઢીથી ત્રણ કિલોમીટરનો વધારાનો ફેરાવો કરવો પડશે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ, નોકરીયાતો, મહિલાઓ, ખેડૂતો તેમજ રોજિંદી અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ધારાસભ્યથી ગાંધીનગર સુધી રજૂઆતો
અંડરપાસની માંગને લઈને ગ્રામજનોએ વાગરા ધારાસભ્ય, નાયબ કલેક્ટર, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હોવાનું જણાવ્યું છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે તેઓ ગાંધીનગર સુધી પણ પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. ફોરલેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા DGMને પણ ચારથી પાંચ વખત મળી ગામની વાસ્તવિક સ્થિતિથી વાકેફ કરાયા હોવા છતાં હજુ સુધી અંડરપાસ અંગે નક્કર કામગીરી શરૂ થઈ નથી.
ગ્રામજનોનું કહેવું છે કે નકશા પર અઢી-ત્રણ કિલોમીટરનું અંતર ઓછું લાગતું હોય, પરંતુ રોજિંદા જીવનમાં આ વધારાનો ફેરાવો વિદ્યાર્થીઓ અને નોકરીયાતો માટે સમય તથા સલામતી બંનેનો પ્રશ્ન બની શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે મહિલાઓ અને વિદ્યાર્થીઓની અવરજવર મુશ્કેલ બનવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે.
રોડ પૂર્ણ થયા બાદ વધારાનો ખર્ચ કેમ?
સ્થાનિકોએ એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે હાલ ફોરલેનનું કામ ચાલી રહ્યું છે ત્યારે જ અંડરપાસ અંગે નિર્ણય લેવાય તો ભવિષ્યમાં તૈયાર રોડનું ફરી ખોદકામ અને બાંધકામ કરવાની જરૂર નહીં પડે. જો રોડ પૂર્ણ થયા બાદ અંડરપાસ મંજૂર થાય તો વધારાનો સમય અને ખર્ચ થશે, જેનો બોજ આખરે સરકારી તિજોરી પર પડી શકે છે.
ગ્રામજનોએ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને માત્ર નકશા પર અંતર માપવાને બદલે એક વખત સ્થળ પર આવી વાસ્તવિક સ્થિતિ નિહાળવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે “કચેરીમાં બેસીને નકશા પર અંતર સમજાય નહીં, સ્થળ પર આવીને જ ગામની મુશ્કેલીનો સાચો અંદાજ આવી શકે.”
ઉગ્ર આંદોલનની ચીમકી
અંડરપાસની માંગ સાથે ગ્રામજનોએ રાજકીય પ્રતિનિધિઓ સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ચૂંટણી સમયે મત માગવા માટે ગામે આવતા નેતાઓએ હવે પ્રજાના મૂળભૂત પ્રશ્નના ઉકેલ માટે પણ આગળ આવવું જોઈએ.
ગ્રામજનોના આંદોલનને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો અંડરપાસ અંગે તાત્કાલિક નક્કર નિર્ણય નહીં લેવાય તો આગામી તબક્કે ગાંધીનગર સુધી કૂચ અને રસ્તા રોકો સહિતના ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે.
હવે જોવાનું એ રહે છે કે કરોડોના ખર્ચે બની રહેલો ભરૂચ-દહેજ ફોરલેન રોડ નવા કલાદરા ગામ માટે સુવિધાનો માર્ગ બનશે કે પછી ગામની અવરજવર માટે નવો અવરોધ ઊભો કરશે. ગ્રામજનોની માંગ છે કે રોડનું કામ આગળ વધે તે પહેલાં જ અંડરપાસ અંગે સ્પષ્ટ અને કાયમી નિર્ણય લેવામાં આવે.
