ભરૂચ: ભરૂચના સ્ટેશન રોડ પર રોટરી ક્લબ પાછળ આવેલી સચ્ચિદાનંદ વિદ્યાલય (રોહિત સમાજની વાડી) ખાતે રવિવારે સંત શરોમી રૈદાસ એન્ડ યુગાવતાર ડો. આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા રોહિત સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ વલ્લભભાઈ બી. રોહિતના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણીએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સંસ્થા અને શાળા દ્વારા બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે આગળ લાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો સરાહનીય છે. વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરવાની સાથે સમાજમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરે અને ભવિષ્યમાં સમાજ તથા દેશ માટે યોગદાન આપી શકે તે દિશામાં તેમનું ઘડતર કરવામાં આવી રહ્યું છે.
ટ્રસ્ટના પ્રમુખ વલ્લભભાઇ રોહિતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની મહેનત અને પ્રતિભાને પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેજસ્વી તારલાઓનું જાહેરમાં સન્માન કરવાથી અન્ય વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં વધુ મહેનત કરવાની પ્રેરણા મળે છે. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે તેમની પ્રતિભાને યોગ્ય દિશા આપવાનું કાર્ય કરે છે. તેમજ સંસ્થાના સભ્યો વધુ સક્રિય બનીને સસ્થાને મજબૂત કરે અને આગામી દિવસોમાં સંસ્થા વધુને વધુ બાળકોના ઘડતર માટે પોતાનું યોગદાન આપી શકે તે માટે સૌને આહવાન કર્યાં હતાં.
સન્માન સમારંભમાં સામાજિક આગેવાન ધનજીભાઈ પરમાર, બલદેવ એસ. આહિર, રોહિત એમ. પટેલ, મહેન્દ્ર જી. વાઘેલા, ભાઇલાલ મકવાણા, નરેન્દ્રસિંહ ગોહિલ, કાંતિભાઈ ગોહિલ સહિત સમાજના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નવનિતભાઇ ગોડીગજબારે સંસ્થાના સ્થાપકોને યાદ કરી તેમનો વારસો અવિરત ચાલું રહે તે માટે સતત પ્રયત્ન શીલ રહેવાનું જણાવી સૌનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ અને દેશનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
