દહેજ : કડોદરા ખાતે આવેલી શ્રી શારદા વિદ્યામંદિરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના ચેરમેન સુરેશભાઈ પરમારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનમાં સહભાગી બન્યા હતા.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળામાં શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ આપી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ મહેનત કરી શાળા અને પરિવારનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિના ગીતોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. દેશભક્તિના ગીતોથી સમગ્ર શાળા પરિસરમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી.
શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને શૈક્ષણિક પ્રગતિની ભાવના કેળવાય તેવા હેતુથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
