ભરૂચ :
પાવન સલીલા મા નર્મદા નદીના કિનારે આવેલા ઝાડેશ્વરના શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ નર્મદા નદીમાં સ્નાન કરી ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન નીલકંઠેશ્વર મહાદેવનો વિશેષ શણગાર કરવામાં આવે છે. પ્રથમ સોમવારે આ વિશેષ શણગારના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ ભગવાનના શણગારના દર્શન સાથે મોબાઇલમાં તસવીરો પણ લીધી હતી. મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાંથી આવતા શિવભક્તો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. શ્રાવણ માસ દરમિયાન હજારો ભક્તો અહીં પહોંચે છે. નર્મદા સ્નાન બાદ મહાદેવના દર્શન કરવાની પરંપરાને કારણે વહેલી સવારથી જ મંદિર તરફ ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો હતો.
મંદિર સાથે નર્મદા પરિક્રમાની પરંપરા પણ જોડાયેલી છે. પરિક્રમાવાસીઓ તથા સાધુ-સંતો માટે મંદિર પરિવાર દ્વારા નિઃશુલ્ક રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ અહીં રોકાણ કરે છે.
વર્ષ 1981માં સાવલીવાળા સ્વામીજીના સાનિધ્યમાં નવનિર્મિત શિવાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને મંદિરનું નિર્માણ 12 માસમાં પૂર્ણ થયું હોવાનું જણાવાય છે. આજે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું પાવન કેન્દ્ર બન્યું છે.
