ભરૂચ: ભરૂચની ઐતિહાસિક આર.એસ. દલાલ હાઇસ્કૂલ કેમ્પસમાં આવેલા જર્જરિત અને ભયજનક બાંધકામોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાના પાછળના ભાગે આવેલા વર્ષોથી બિનઉપયોગી બાંધકામો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અંગ્રેજોના સમયગાળામાં બનેલી શાળાની મુખ્ય ઇમારત હાલ પણ મજબૂત અને સુરક્ષિત હોવાનું જણાવાયું છે. આ બિલ્ડિંગમાં ધોરણ 9થી 12ના અંદાજે 70થી 80 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે પ્રાથમિક શાળા પણ હાલમાં હંગામી ધોરણે અહીં કાર્યરત છે.
વરસાદમાં સીડીનો પોપડો ખરી પડ્યો હતો
શાળાના પાછળના ભાગે આવેલા કેટલાક બાંધકામો છેલ્લા પાંચ વર્ષથી બિનઉપયોગી હોવાથી જર્જરિત બની ગયા હતા. તાજેતરમાં ભારે વરસાદ દરમિયાન એક બાંધકામની સીડીનો મોટો પોપડો અચાનક ખરી પડ્યો હતો. સદનસીબે આ વિસ્તાર અગાઉથી બેરિકેડિંગ કરીને બંધ રાખવામાં આવ્યો હોવાથી કોઈ વિદ્યાર્થી કે અન્ય વ્યક્તિને ઈજા પહોંચી નહોતી. જર્જરિત બાંધકામ વિદ્યાર્થીઓ માટે જોખમી ન બને તે માટે તંત્ર દ્વારા તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હોસ્ટેલ ગ્રાઉન્ડ પાછળના બાંધકામો પણ દૂર કરાશે
આ ઉપરાંત હોસ્ટેલ ગ્રાઉન્ડની પાછળ છેલ્લા 25થી 30 વર્ષથી બંધ પડેલા નાના બાંધકામો, અવાવરું છાપરા તથા ધાબા વગરની ખુલ્લી દીવાલો પણ તોડી પાડવામાં આવી રહી છે. પાછળના ભાગે આવેલા કૂવાના વિસ્તારને પણ સુરક્ષિત કરવામાં આવી રહ્યો છે. વર્ષોથી અવાવરું પડેલા આ વિસ્તારોમાં અકસ્માત ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓ થવાની શક્યતા હોવાથી સમગ્ર વિસ્તારને જોખમમુક્ત બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. શાળા કેમ્પસમાં વિદ્યાર્થીઓની સલામતી જળવાઈ રહે અને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી જર્જરિત અને બિનઉપયોગી બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે.
