ભરૂચ:
ભરૂચના કંથારિયા નજીક આવેલા ગરમિયા નાળામાંથી રંગીન પ્રવાહી વહેતું જોવા મળતાં સ્થાનિકોમાં ચિંતા સાથે અનેક સવાલો ઉભા થયા છે. નાળામાં પાણીના બદલે કલરયુક્ત પ્રવાહી વહેતું જોવા મળતાં આ પ્રવાહી કેમિકલયુક્ત તો નથી ને? તે અંગે તપાસ જરૂરી બની છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગરમિયા નાળાની નીચેથી વહેતા પાણીનો રંગ સામાન્ય પાણી કરતા અલગ જોવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે આ સ્થળની નજીક કોઈ મોટી કંપની કે ઔદ્યોગિક એકમ આવેલો નથી. ત્યારે આ પ્રકારનું રંગીન પ્રવાહી નાળામાં આવ્યું ક્યાંથી તે સવાલ ચર્ચાનો વિષય બન્યો છે.
શું કોઈ ટેન્કર મારફતે આ પ્રવાહી નાળામાં છોડવામાં આવ્યું છે? કે પછી અન્ય કોઈ સ્ત્રોતમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે? જેવા સવાલો ઉઠી રહ્યા છે. જોકે, પ્રવાહી ખરેખર કેમિકલયુક્ત છે કે નહીં તે અંગે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકે તેમ છે.
આ મામલે ભરૂચ GPCB દ્વારા સ્થળ પર પહોંચી નાળામાંથી પાણીના નમૂના લેવામાં આવે અને તેનું તાત્કાલિક પરીક્ષણ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માગ ઉઠી છે. જો પ્રવાહીમાં કોઈ હાનિકારક કેમિકલ હોવાનું બહાર આવે તો તેને નાળામાં છોડનાર સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કંથારિયા નજીક આ પ્રકારની ઘટના અગાઉ પણ સામે આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેથી વારંવાર રંગીન પ્રવાહી નાળામાં આવવાનું કારણ શોધી જવાબદાર સામે કાર્યવાહી કરવી જરૂરી બની છે. GPCBની તપાસ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે.
