ભરૂચ: સમસ્ત માલધારી સમાજ અને ગરુડ સેના દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 4 સપ્ટેમ્બરના રોજ યોજાનારા આ મહોત્સવને લઈને વડદલા ગામે નર્મદેશ્વર હનુમાનજી મંદિર ખાતે સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહોત્સવની તૈયારીઓ અને વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા કરી આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
જન્માષ્ટમીના દિવસે સાંજે 7 વાગ્યે તુલસીધામ રાધાકૃષ્ણ સોસાયટી ખાતે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીકૃષ્ણની આરતી અને પૂજન કર્યા બાદ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થશે. બેન્ડવાજા, રાસ-ગરબા, હુડી રાસ અને વિવિધ નૃત્યો સાથે નીકળનારી શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ રાત્રે 11 વાગ્યે ઝાડેશ્વર બસ સ્ટેશન ખાતે પહોંચશે.
ઝાડેશ્વર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે રાસ-ગરબા, લાકડી રાસ, મટકી ફોડ સહિતના વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. રાત્રે બરાબર 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણને પારણે ઝુલાવી મહાઆરતી કરવામાં આવશે.
આ ભવ્ય જન્માષ્ટમી મહોત્સવમાં ભરૂચ જિલ્લાના માલધારી સમાજ, ગરુડ સેના સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ભક્તજનો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. આયોજકો દ્વારા ભરૂચની ભાવિક જનતાને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવમાં સહભાગી બની ધર્મલાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
