ભરૂચ: ભરૂચ નગરપાલિકાની હાઉસ ટેક્સ શાખાએ મિલકત વેરાની બાકી વસૂલાત માટે હવે કડકાઈ શરૂ કરી છે. વર્ષ 2026-27ના વેરા બિલની કામગીરી સાથે વર્ષોથી વેરો નહીં ભરનારા બાકીદારો સામે સીલિંગ કાર્યવાહી માટે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. હાલ 15થી વધુ કોમર્શિયલ મિલકતધારકોને સીલ અંગેના વોરંટ બજાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ 15થી વધુ કોમર્શિયલ મિલકતો પાસેથી અંદાજે રૂ.7થી 8 લાખ જેટલો મિલકત વેરો બાકી હોવાનું સામે આવ્યું છે. પાલિકા દ્વારા બાકીદારોને વહેલી તકે વેરો ભરપાઈ કરી દેવા સૂચના આપવામાં આવી છે. જો બાકી વેરો ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. પાલિકાએ ભરૂચ શહેરના તમામ બાકીદારોને વેરો ભરપાઈ કરી કાર્યવાહીથી બચવા અપીલ કરી છે. પાલિકા દ્વારા આગામી દિવસોમાં બાકીદારો સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે. કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની સાથે રહેણાંક મિલકતધારકો પાસેથી બાકી વેરાની વસૂલાત માટે નળ જોડાણ કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
5-6 વર્ષથી રૂ.10 કરોડની ઉઘરાણી
ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા પાંચથી છ વર્ષથી અંદાજે રૂ.10 કરોડ જેટલી મિલકત વેરાની રકમ બાકી હોવાનું પાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે. કેટલાક મિલકતધારકોના ચાર વર્ષના તો કેટલાકના પાંચ વર્ષના વેરા બાકી છે. જ્યારે કેટલાક મિલકતધારકો દર વર્ષે વેરો બાકી રાખતા હોવાથી બાકી રકમમાં સતત વધારો થઈ રહ્યો છે.
