ભરૂચ:
ભરૂચના કરમાડ-વાંસી રોડ પર હાઈટેન્શન વીજ લાઈનનો જીવંત વાયર તૂટીને રસ્તા પર પડતાં ભારે ફફડાટ મચી ગયો હતો. સદનસીબે વાયર પડ્યો તે સમયે તેની અડફેટે કોઈ વાહનચાલક કે રાહદારી નહીં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે રસ્તા પર જીવંત વીજ વાયર પડેલો હોવાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, કરમાડ-વાંસી રોડ પર હાઈટેન્શન લાઈનનો વાયર અચાનક તૂટી પડ્યો હતો. રસ્તા પર જીવંત વીજ વાયર પડતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. વીજ કરંટના જોખમને પગલે લોકોએ સ્થળથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.
ઘટનાની જાણ થતાં વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રસ્તા પર પડેલા જીવંત વાયરને લઈ જોખમ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
સ્થાનિક ખેડૂતો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં હાઈટેન્શન લાઈનના વાયર તૂટવાની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે. વારંવાર જીવંત વીજ વાયર રસ્તા પર પડતાં લોકોના જીવ સામે જોખમ ઊભું થઈ રહ્યું છે. ખાસ કરીને ખેડૂતો અને રોજિંદા અવરજવર કરતા વાહનચાલકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોએ વીજ વિભાગ દ્વારા હાઈટેન્શન લાઈનોનું યોગ્ય મેન્ટેનન્સ કરાવવામાં આવે અને જૂના કે નબળા વાયર-લાઈનની સમયસર તપાસ કરવામાં આવે તેવી માગ કરી છે. ભવિષ્યમાં આવી ઘટના બને અને કોઈ જાનહાનિ થાય તે પહેલાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
