ભરૂચ:
ઝાડેશ્વર રોડ પર આવેલી કુંદન એપાર્ટમેન્ટમાં પ્રેમલગ્નના માત્ર 20 દિવસમાં જ ઘરકંકાસનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. 22 વર્ષીય પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ સામે ગાળાગાળી, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, યુવતીને ચિરાગ સોલંકી સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ હતો. આશરે 20 દિવસ અગાઉ બંનેએ રાજપીપળા ખાતે મહાકાળી માતાના મંદિરમાં પ્રેમલગ્ન કર્યા હતા. 25 ઓગસ્ટે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પતિ-પત્ની વચ્ચે પૈસાની બાબતે વાતચીત થઈ હતી. આ દરમિયાન પતિએ મંગળસૂત્ર અને સાંકળ આપવા જણાવ્યું હતું. યુવતીએ માતાને ફોન કરી જાણ કરતાં માતાએ ઘરેણાં આપવાની ના પાડી હતી. આ વાત પતિને જણાવતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ પછી પતિ ઘરેથી નીકળી ગયા હતા. દરમિયાન નણંદ આરતીએ યુવતીને કપડાં પેક કરી દેવા જણાવી જાહેરમાં ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે આરતીએ યુવતીને ગાલ પર બે-ત્રણ તમાચા માર્યા તેમજ હાથ પકડી બાવડાના ભાગે બચકું ભર્યું હતું.
થોડીવાર બાદ મોટી નણંદ સ્નેહાબેન અને તેમના પતિ જયભાઈ ત્યાં પહોંચ્યા હતા. બંનેએ પણ યુવતી સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ છે. જયભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારબાદ જયેશભાઈ ઉર્ફે પ્રકાશ સોલંકી અને ઇલાબેન પણ ત્યાં આવી ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ છે.
ઝઘડા દરમિયાન કાનમાંથી લોહી નીકળતાં પરિણીતાએ 112 પર ફોન કરી પોલીસને બોલાવી હતી. ત્યારબાદ માતા સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
