વાંકલ:
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઈશનપુર ગામે આગામી 29 ઓગસ્ટના રોજ યોજાનાર ‘યુવા સંગતિ’ કાર્યક્રમને લઈને વિરોધનો માહોલ સર્જાયો છે. આદિવાસી સમાજની રૂઢિગત પરંપરા અને સંસ્કૃતિને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ કરીને દેવ બિરસા સેના દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવી કાર્યક્રમને મંજૂરી ન આપવા અને તેને અટકાવવાની માંગ કરવામાં આવી છે.
દેવ બિરસા સેનાના આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારકો દ્વારા વિવિધ પ્રલોભનો આપી ધર્મપરિવર્તનની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ‘યુવા સંગતિ’ જેવા કાર્યક્રમોના માધ્યમથી સ્થાનિક યુવાધનને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થતો હોવાનો દાવો પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે.
સંસ્થાએ 29 ઓગસ્ટે ઈશનપુર ખાતે યોજાનાર કાર્યક્રમને કોઈપણ સંજોગોમાં સરકારી મંજૂરી ન આપવા તેમજ કાર્યક્રમના આયોજકો અને સંકળાયેલા પાદરીઓની ભૂમિકા અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ ઉપરાંત, આવા મોટા કાર્યક્રમો માટે નાણાં ક્યાંથી આવે છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા, આદિવાસી વિસ્તારોમાં આવેલા ચર્ચોની સરકારી નોંધણી ચકાસવા તેમજ ધર્મપરિવર્તન અંગે કાયદેસરની તપાસ હાથ ધરવાની રજૂઆત કરવામાં આવી છે.
દેવ બિરસા સેનાએ મામલતદાર ઉપરાંત સુરત જિલ્લા કલેક્ટર, સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક, માંગરોળ પોલીસ સ્ટેશન અને રાજ્યના ગૃહ વિભાગને પણ લેખિત ફરિયાદ મોકલી છે. કાર્યક્રમ પહેલાં જ વિરોધનો સૂર ઉઠતાં હવે સ્થાનિક તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
