ભરૂચ :
ભરૂચ શહેરમાં શ્રમ આયુક્ત વિભાગની ટીમે અલગ-અલગ બેકરીમાં ચેકિંગ હાથ ધરી 5 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા. જિલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્કફોર્સની ટીમે મહંમદપુરા, બળિયાદેવ રોડ અને તુલસીધામ વિસ્તારમાં આવેલી બેકરીઓમાં તપાસ કરી હતી.
મહંમદપુરા નજીક આવેલી ન્યૂ દિલાવર બેકરીમાંથી ગુલ્શન મથુરા ચૌહાણ અને ફુલચંદ સૌરીન ચૌહાણ નામના બે બાળ શ્રમિકો મળી આવ્યા હતા. બંને ઉત્તરપ્રદેશના બહેરીચના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે સંચાલક ગુલામ હૈદર પઠાણ સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
મહંમદપુરાની નુરાની બેકરીમાંથી સોમદેવ દિનેશ ચૌહાણ અને સત્યનામ જગદિશ નામના બે બાળ મજૂરો મળતાં સંચાલક નિસારમહમદ પઠાણ સામે કાર્યવાહી કરાઈ હતી. જ્યારે તુલસીધામની રાધેક્રિષ્ણા બેકરીમાંથી શિવા દિનેશ વર્મા નામનો બાળ મજૂર મળતાં સંચાલક વિનાયક દ્વિવેદી સામે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
મુક્ત કરાયેલા પાંચેય બાળકોને કુકરવાડા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે સોંપવામાં આવ્યા હતા.
