ભરૂચ: શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના કારણે સર્જાતી સમસ્યાને લઈ ભરૂચ નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગત રાત્રિ દરમિયાન ભરૂચ નગરપાલિકાની અલગ-અલગ ટીમો દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ અને વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી 10થી વધુ રખડતા ગધેડાઓને પકડી પાડવામાં આવ્યા હતા.
પાલિકાની ટીમોએ રાત્રિના સમયે કામગીરી હાથ ધરી રખડતા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડવાની સાથે અકસ્માતનો ભય પણ રહેતો હોય છે.
નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને લઈને સમયાંતરે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે રસ્તાઓ પર રખડતા પશુઓને કારણે સર્જાતા જોખમને ઘટાડવા પાલિકાની ટીમો દ્વારા પેટ્રોલિંગ અને પકડવાની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે.
રખડતા પશુઓ સામે પાલિકાની રાત્રિ કાર્યવાહીથી રસ્તાઓ પર પશુઓના કારણે સર્જાતી સમસ્યામાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
