નેત્રંગ તાલુકાના ઘાણીઘૂંટ પુલ નજીક કરજણ નદીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી મુજબ, ઘાણીઘૂંટ પુલ પાસેથી કરજણ નદીના પાણીમાં અજાણ્યા વ્યક્તિની લાશ જોવા મળતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ડેડીયાપાડા અને નેત્રંગ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ નદીના પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટના નેત્રંગ પોલીસ મથકની હદમાં આવતી હોવાથી નેત્રંગ પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નેત્રંગ ખાતે ખસેડવામાં આવ્યો છે. જોકે, મૃતકની હાલ સુધી ઓળખ થઈ શકી નથી. મૃતક કોણ છે અને તેનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સાથે જ મૃતકની ઓળખ મેળવવા માટે પણ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતદેહ નદીમાંથી મળી આવ્યાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જોવા મળી હતી.
અજાણ્યા વ્યક્તિનું મોત અકસ્માતે થયું છે કે અન્ય કોઈ કારણોસર તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. નેત્રંગ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
