ભરૂચ :
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વાવ ગામે BVC કંપનીના કેમિકલ ભરેલા વાહનમાંથી અત્યંત તીવ્ર અને ઝેરી દુર્ગંધ ફેલાતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. દુર્ગંધના પગલે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ કંપનીના વાહનને રસ્તા પર રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, વાહનમાંથી આવતી દુર્ગંધ એટલી તીવ્ર હતી કે ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. વાવ ગામના સાંકડા રસ્તાઓ પરથી કંપનીના ભારે વાહનોની સતત અવરજવર સામે પણ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટનાની જાણ GPCBના પ્રાદેશિક અધિકારી કે.એન. વાઘમશીને કરવામાં આવતા, વિસ્તાર GIDCમાં આવતો હોવાનું જણાવી જવાબદારી GIDC તરફ ધકેલી દેવામાં આવી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. બીજી તરફ, GIDC તંત્રનો પણ યોગ્ય પ્રતિસાદ ન મળ્યો હોવાનો આરોપ છે. કંપનીના અધિકારીઓ દ્વારા પણ ઘટનાને લઈને સ્પષ્ટ ખુલાસો કરવાને બદલે ગોળગોળ જવાબો આપવામાં આવી રહ્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે.
અગાઉ કડોદરા ગ્રામ પંચાયત દ્વારા આ રસ્તા પરથી કંપનીના વાહનોની અવરજવર પર પ્રતિબંધ દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા હતા. તેમ છતાં વાહનોની અવરજવર ચાલુ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે.
સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો કંપની પાસે કેમિકલ પરિવહન માટે જરૂરી કાયદેસરના પુરાવા, મંજૂરી અને સલામતીના દસ્તાવેજો છે તો તે જાહેર કેમ કરવામાં આવતા નથી? અગાઉ નાળું બનાવવા માટે આપવામાં આવેલી શરતી પરવાનગીનો ગેરલાભ લઈ જાહેર સલામતી સાથે ચેડા થઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
વાવની ઘટનાએ કેમિકલ પરિવહનની કાયદેસરતા, સલામતી વ્યવસ્થા અને પર્યાવરણ સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હવે GPCB, GIDC અને સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.
