ભરૂચ :
આગામી તા. 14થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ગણેશોત્સવને અનુલક્ષીને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે અધિક જિલ્લા કલેક્ટર આર.બી. ભોગાયતાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના લાયઝન અધિકારીઓ તેમજ ગણેશોત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન, સલામતી તેમજ પર્યાવરણની જાળવણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજકોને ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. પીઓપી, ભઠ્ઠીમાં શેકેલી માટી તેમજ કેમિકલ કે ઝેરી રંગોનો ઉપયોગ ન કરવા અને કુદરતી માટી તથા પાણીમાં ઓગળી જાય તેવા રંગોથી બનેલી મૂર્તિ સ્થાપવા સૂચના આપવામાં આવી હતી.
વિસર્જન અંગે તંત્ર દ્વારા તૈયાર કરાયેલા પવિત્ર કૃત્રિમ જળકુંડમાં માત્ર 5 ફૂટ સુધીની ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. જ્યારે 5 ફૂટથી મોટી અન્ય તમામ મૂર્તિઓને ભાડભૂત ખાતે વિસર્જન માટે મોકલવા આયોજકોને અનુરોધ કરાયો છે. ભરૂચ શહેરમાં બે સ્થળે તેમજ અંકલેશ્વર અને અન્ય નગરપાલિકા વિસ્તારોમાં પણ કૃત્રિમ કુંડ બનાવવામાં આવશે.
જાહેર ગણેશ મંડપોમાં લાઇટિંગ, CCTV, ફાયર એક્સ્ટિંગ્વિશર અને બેરીકેડિંગની વ્યવસ્થા રાખવા તેમજ મંડપના કારણે રસ્તા કે રાહદારીઓને અડચણ ન થાય તેની તકેદારી રાખવા જણાવાયું હતું. પીઓપીની મૂર્તિ અને 9 ફૂટથી વધુ ઊંચી મૂર્તિ નહીં રાખવા, જાહેર માર્ગ પર ફટાકડા ન ફોડવા અને કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવા પણ તાકીદ કરાઈ હતી.
વિસર્જન સ્થળોએ ફ્લડલાઇટ, જનરેટર, કંટ્રોલ રૂમ, ક્રેન, બેરીકેડિંગ, ફાયર ફાઈટર, તાલીમબદ્ધ તરવૈયા, મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત રાખવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. વિસર્જન રૂટ પર લટકતા વીજ વાયર ઊંચા કરવા DGVCLને પણ સૂચના અપાઈ હતી.
ગણેશ પ્રતિમાના આગમન અને વિસર્જન દરમિયાન ધ્વનિ પ્રદૂષણ ન થાય તેની તકેદારી રાખવા તેમજ જાહેરનામા મુજબ મોડી રાત્રે ડીજેના ઉપયોગ પર નિયંત્રણ રાખવા જણાવાયું હતું. તહેવાર દરમિયાન કોઈની ધાર્મિક લાગણી ન દુભાય અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે આયોજકોને ખાસ કાળજી રાખવા અપીલ કરવામાં આવી હતી.
