ભરૂચ :
ભરૂચ શહેરમાં લારી પર ચપ્પલ મૂકવા બાબતે ટોકતાં થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભજીયાની લારી ચલાવતા શખ્સ સાથે તકરાર બાદ પિતા-બે પુત્ર સહિત ચાર શખ્સોએ તેના પર હુમલો કરી માર મારતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે ઈજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સંતોષી વસાહતના હબીબપાર્ક સોસાયટીમાં રહેતા સરફરાજ ગુલામરસુલ શેખ મોટા ચાર રસ્તા પાસે બાદશા મસ્જિદ સામે ભજીયાની લારી ચલાવે છે. ગઈકાલે લારી બંધ હોવાથી સાંજે સાડા છ વાગ્યાના અરસામાં તેઓ લારી પર સામાન મૂકવા ગયા હતા. દરમિયાન મુકેમ બાપુ સૈયદે તેમની લારી પર ચપ્પલ મૂકતાં સરફરાજે ‘આ મારી રોજી છે, લારી પર ચપ્પલ કેમ મૂકો છો?’ કહી ટકોર કરી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
બાદમાં સરફરાજ BSNL ઓફિસ સામે આવેલા સીટી સેન્ટર શોપિંગમાં મુકેમ બાપુનો પુત્ર નદીમ ગણેશ મોબાઈલમાં નોકરી કરતો હોવાથી તેને મળવા પહોંચ્યા હતા. સરફરાજે નદીમને તેના પિતાને સમજાવવા કહેતાં વાતચીત ચાલી રહી હતી. દરમિયાન મુકેમ બાપુનો બીજો પુત્ર મોઈન બાપુ સૈયદ તથા ભત્રીજો તૈજીબ બાપુ ઉર્ફે ટેન બાપુ સૈયદ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ ચારેયે મળી સરફરાજને માર મારતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બનાવ અંગે ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
