ભરૂચ:
ભરૂચ જિલ્લામાં લાંબા સમયથી ખેંચાયેલા વરસાદ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરતાં ખેડૂતો અને શહેરીજનોમાં રાહતની લાગણી પ્રસરી છે. આશરે 35થી 40 દિવસના વરસાદી વિરામ બાદ અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. ધીમીથી મધ્યમ ધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લાંબા સમયથી અસહ્ય ગરમી તથા બફારાનો સામનો કરી રહેલા લોકોને રાહત મળી હતી.
લાંબા સમયથી વરસાદ ખેંચાતા ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેતીના પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી. ખાસ કરીને વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે. વરસાદના આગમનથી સુકાઈ રહેલા પાકને જીવતદાન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે.
દરમિયાન, હવામાન વિભાગના તાજા અપડેટ મુજબ 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમ સહિતની હવામાન પ્રણાલીઓ સક્રિય થતાં વરસાદી માહોલ વધુ મજબૂત બનવાની શક્યતા છે. જો આગામી દિવસોમાં આગાહી મુજબ સારો વરસાદ થાય તો લાંબા વિરામથી ચિંતિત બનેલા ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે આ વરસાદ પાક બચાવવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
