વાંકલ :
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર મદદ કરી હોસ્પિટલ પહોંચાડી તેમનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ત્રણ ‘રાહવીરો’નું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મુકેશભાઈ તથા હસમુખભાઈ ગામીત અને અમલસાડીના શંકરલાલ ચૌધરીનો સમાવેશ થાય છે.
માર્ગ અકસ્માત બાદના અત્યંત મહત્વપૂર્ણ ‘ગોલ્ડન અવર્સ’ દરમિયાન ત્રણેય રાહવીરોએ કોઈ પણ જાતની પરવા કર્યા વિના માનવતા દાખવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક મદદ કરી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવતા સમયસર સારવાર મળી શકી હતી.
ત્રણેયની આ સેવાભાવી અને માનવતાપૂર્ણ કામગીરીને બિરદાવતા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના હસ્તે તેમને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સરકારની ‘રાહવીર યોજના’ અંતર્ગત માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડી મદદ કરનાર વ્યક્તિને પ્રોત્સાહનરૂપે રૂ.25 હજારનું પુરસ્કાર આપવામાં આવે છે. આ પહેલનો હેતુ અકસ્માત સમયે લોકોમાં મદદની ભાવના વધારવાનો અને ‘ગોલ્ડન અવર્સ’ દરમિયાન તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવાનો છે.
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ત્રણેય રાહવીરોનું સન્માન કરી સમાજમાં માનવતા અને સંવેદનશીલતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
